ઝાયલોકેન જેલી લગાવવાથી ઉત્તેજના ઓછી આવે?
સવાલ
પહેલાંની સરખામણીએ હવે સ્ખલન વહેલું થઈ જતું હોય એવું મને લાગતું હતું. ઓરલ દવાનો પ્રયોગ કરવા કરતાં મને ઇન્દ્રિય પર લગાવવાની દવા વાપરવાનો વિચાર ગમ્યો. આ માટે તમારી કૉલમમાં ઝાયલોકેન જેલી લગાવવાનો પ્રયોગ તમે સૂચવેલો એ અજમાવ્યો હતો. અમે ઝાયલોકેન લગાવી થોડીક વાર રાખ્યું અને પછી એ ભાગ રૂમાલથી લૂછી નાખ્યો. સામાન્ય રીતે પત્નીના સ્પર્શમાત્રથી લિંગ એકદમ ઉત્તેજિત થઈ જતું હતું. પરંતુ આ વખતે ઉત્તેજના આવતાં જ વાર લાગી. સામાન્ય રીતે અડધી-એક મિનિટમાં જ ઉત્તેજના આવી જતી. એને બદલે સાતથી દસ મિનિટના ફોરપ્લે પછી ઉત્તેજના આવી. એ વખતે પણ કડકપણું ઓછું હતું. જોકે એ અવસ્થા મને ઘણો લાંબો સમય સુધી ટકી રહી. શું આ જેલી લગાવવાથી ઉત્તેજના ઓછી આવે અને લાંબો સમય ટકે એવું થાય? મને ડાયાબિટીઝ, બ્લડ-પ્રેશર કે હાર્ટ-ડિસીઝની કોઈ તકલીફ નથી. શું આ દવા બધા લોકો ન લગાવી શકે? આ બાબતે વિગતવાર સમજણ આપશો.
જવાબ
ઝાયલોકેન જેલી સ્થાનિક ધોરણે માઇલ્ડ ઍનેસ્થેસિયા જેવું કામ આપે છે. ઍનેસ્થેસિયા એટલે કે સંવેદનબધિર. મતલબ કે એ ભાગમાં થતી સંવેદનાઓનું મગજ સાથેનું કનેક્શન બ્લૉક થઈ જવું. જ્યારે ઇન્દ્રિયની ત્વચામાં વધુપડતી સેન્સિટિવિટીને કારણે શીઘ્રસ્ખલનની સમસ્યા થતી હોય ત્યારે આ જેલીનો ટેમ્પરરી વાપર કરી શકાય છે. તમે જે વર્ણન કર્યું છે એ મુજબ તમે ઉત્તેજિત નહીં, શિથિલ ઇન્દ્રિય પર આ જેલી લગાડી હશે એવું લાગે છે. બીજી તરફ તમારી ઇન્દ્રિયને ઉત્તેજના માટે સ્પર્શ સંવેદનાની જરૂર પડે છે. આ બન્ને વિરોધાભાસ એકઠા થયા. તમે પહેલાં જેલી લગાવીને સ્પર્શ સંવેદના ઘટાડી નાખી ને પછી સ્પર્શ કરાવીને ઉત્તેજના લાવવાનો પ્રયત્ન કર્યો. સામાન્ય રીતે ઇન્દ્રિયમાં ઉત્તેજના આવી જાય એ પછીથી ઝાયલોકેન જેલી લગાવવી અને પછી સાફ કરી લેવી અથવા તો એના પર કૉન્ડોમ પહેરી લેવું. એમ કરવાથી જેલીની અસર પત્નીના યોનિમાર્ગને પણ સંવેદનારહિત ન કરી દે. ઇન્દ્રિયની ત્વચાની સંવેદનશીલતા ઘટાડવી હોય તો થોડાક સમય માટે અન્ડરવેઅર પહેરતી વખતે ફોરસ્કિનને પાછળ ખેંચીને એક્સ્પોઝ્ડ કરી રાખો.