પ્રથમ વખત દર્દી પર ટોસિલિઝુમેબ ઇન્જેક્શનનો ઉપયોગ કરાયો
ભાવનગર: ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓના મહત્તમ કિસ્સામાં શ્ર્વાસ લેવામાં પડતી ગંભીર મુશ્કેલી અને ફેફસા કામ કરતા બંધ થવાને કારણે દર્દીનું મૃત્યુ થવાની સ્થિતિ ઊભી થાય છે. ત્યારે આ પરિસ્થિતિને અટકાવવા ગુજરાત સરકારે ટોસિલિઝુમેબ ઇન્જેક્શનો મોટા પ્રમાણમાં મગાવી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલા દર્દીને આપી તેનો જીવ બચાવવા પ્રયત્નશીલ બની છે. અમદાવાદ, સુરત, વડોદરા બાદ ભાવનગરમાં પણ પ્રથમ વખત કોરોના પોઝિટિવ દર્દીને આ ઇન્જેક્શન અપાયું હતું.
આ અંગેની વધુ વિગતો આપતાં સર તખ્તસિંહજી જનરલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. વિકાસ સિંહાએ જણાવ્યું હતું કે, આ ઇંજેક્શનની કિંમત ૪૦,૦૦૦ રૂપિયા છે અને દર્દીને આવા બે ડોઝ આપવા પડે છે. ભાવનગરના કોરોના પોઝિટિવ દર્દીને શ્ર્વાસ લેવામાં મુશ્કેલી શરૂ થતાં તેને આ ઈન્જેકશન અપાયું હતું. આ ઇન્જેક્શનની કિંમત કરતા દર્દીનો જીવ મહત્ત્વનો છે તેમ સમજી આ ઇન્જેક્શન દર્દીઓને વિનામૂલ્યે આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે.