ખેડબ્રહ્મા : સતત 53 દિવસ સુધી અવિરત ભોજન વિતરણ…
કોરોનાવાયરસ ની મહામારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા lockdown જાહેર કરવામાં આવ્યું ત્યારથી ખેડબ્રહ્મા તાલુકા અને શહેરના જરૂરિયાત મંદોને ભોજન મળી રહે તે માટે પ્રાંત અધિકારી શ્રી મોદી સાહેબ અને મામલતદાર શ્રી ગમાર સાહેબ દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ખેડબ્રહ્માનો એક પણ શ્રમિક વર્ગ સાંજ પડે ભૂખ્યો ન સુવે તેવી નેમ પ્રાંત અધિકારી શ્રી મોદી સાહેબે લીધી હતી.
કુદરતે પણ તેની નોંધ લેતા ખેડબ્રહ્મા શહેર અને તાલુકાની સેવાભાવી સંસ્થાઓ દ્વારા ખૂબ સહયોગ પ્રાપ્ત થયો હતો.
ખેડબ્રહ્મા ના રહેવાસી મનીષભાઈ કોઠારી, રાજુભાઈ સિંધી અને મહેન્દ્રભાઈ પટેલ લક્ષ્મીપુરા અને તેમના મિત્ર મંડળના સહયોગથી જરૂરિયાત મંદોને ભોજન આપવા માટે નું બીડું આ ત્રિપુટી એ ઝડપ્યું હતું. પ્રાંત અધિકારીશ્રી મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં રહેતા જરૂરિયાત મંદ શ્રમ મજૂરોને દરરોજ દાળ બાટી, ઇન્દોરી બાફલા બાટી, રોટલી શાક, દાળ ઢોકળી, કઢી ખીચડી, લાડુ, શીરો એમ જુદા જુદા મેનુ પ્રમાણે નું ભોજન અંદાજે 1000 થી 1500 માણસોનું ભોજન ડોર ટુ ડોર વિતરણ કરવામાં આવતું હતું.
આ સાથે ૫૦૦થી પણ વધુ કરિયાણાની કીટો , ત્રણથી ચાર હજાર શાકભાજી ની કીટો પણ બનાવીને લોકો ને આપવામાં આવી હતી. lockdown શરૂ થયું ત્યારથી સતત ત્રેપન દિવસ સુધી જરૂરિયાત મંદોને ડોર ટુ ડોર ભોજન આપવામાં આવતું હતું. ભોજન સામગ્રીનો તમામ ખર્ચ શ્રી મનીષભાઈ કોઠારી રાજુભાઈ સિંધી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા અને કેટલાક દાતાઓ તરફથી સહયોગ મેળવી આ સેવાયજ્ઞ નું કાર્ય શરૂ રાખવામાં આવ્યું હતું. રસોઈ બનાવવામાં રસોઈયા ભાઈએ એક પણ રૂપિયો લીધા વિના લોકોને ભોજન મળી રહે તે માટે શ્રમદાન કર્યું હતું . લક્ષ્મીપુરા ગામ તરફથી પણ બે દિવસનું ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. જય બાબારી ગ્રુપ લક્ષ્મીપુરા નો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.
વહીવટી તંત્ર ના સહયોગથી સેવાભાવી મિત્ર મંડળ દ્વારા કોરોના મહામારીમાં સતત ત્રેપન દિવસ સુધી ભોજન આપવાનું જે સરાહનીય કામ કરવા બદલ સમગ્ર ટીમનો પ્રાંત અધિકારીશ્રી મોદી સાહેબે અને મામલતદાર શ્રી ગમાર સાહેબે હ્દય પૂવૅક આભાર વ્યક્ત કરી તેમની સેવાને બિરદાવી હતી. આ સાથે આ ટીમ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના કોરોના વોરીયસૅ તરીકે પોતાના સ્વાસ્થ્યની પણ પરવા કર્યા વિના સમાજના સ્વાસ્થની ચિંતા કરી સમાજને સુરક્ષિત રાખવામાં સર્વોત્તમ ભૂમિકા નિભાવી હતી તે સર્વે આરોગ્ય કર્મીઓ, પોલીસ સ્ટાફ અને વહીવટી તંત્ર ના કોરોના વોરીયર અને પત્રકાર મિત્રોનું શાલ ઓઢાડી, પુષ્પગુચ્છ આપીરાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંગઠન ના નેજા હેઠળ સન્માન પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. માનવતા હજુ મરી પરવારી નથી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેડબ્રહ્માની આ ત્રિપુટી અને સમગ્ર ટીમે પુરી પાડી હતી.
ધન્ય છે આવા ભામાશાઓને.
ધન્ય છે તેમની જનેતાઓને
રિપોર્ટ : ધીરુભાઈ પરમાર (ખેડબ્રહ્મા)