સાબરકાંઠા ફોરેસ્ટ ઓફિસના કર્મચારી બી. એમ. પરમાર નિવૃત્ત થતાં વિદાય સમારંભ યોજાયો
પાલનપુર,
ફોરેસ્ટ ઓફિસમાં ફરજ બજાવતાં વર્ગ-૩ના કર્મચારી શ્રી બી. એમ. પરમાર વય નિવૃત્ત થતાં નાયબ વન સંરક્ષકશ્રીની કચેરી મોડાસા ખાતે ગઇકાલે તા.૩૦ જૂન-૨૦૨૦નાં રોજ નાયબ વન સંરક્ષકશ્રી પી.પુરસોથમાના અધ્યક્ષસ્થાને સોશ્યલ ડિસ્ટન્સ સાથે વિદાય સમારંભ યોજાયો હતો. શ્રી બી.એમ.પરમારે ૧૯૮૨માં પ્રાંત કચેરી મોડાસા ખાતેથી સરકારી સેવામાં નિમણુંક પામી ફોરેસ્ટ ખાતાની જુદી જુદી રેન્જ વડાલી, વિજયનગર, ખેડબ્રહ્મા, ભિલોડા, હિંમતનગર અને છેલ્લે મોડાસા ખાતેથી નિવૃત થયાં છે. શાંત અને સરળ સ્વભાવના નિર્મળ વ્યક્તિત્વ ધરાવતા શ્રી પરમારે તેમની કાર્યશૈલીથી સાથી કર્મચારી મિત્રો અને ઉપરી અધિકારીઓમાં આદરભર્યુ સ્થાન મેળવ્યું હતું. તેમના હકારાત્મક વલણ અને સોંપેલું કામ ધગશથી કરવાના કારણે સ્ટાફમિત્રો અને લોકોમાં પણ અનેરી લોકચાહના મેળવી હતી. વિદાય પ્રસંગે નાયબ વન સંરક્ષકશ્રી પી.પુરસોથમા અને કચેરીના સ્ટાફ દ્વારા શ્રી પરમારનું શાલ, શ્રીફળ અને સાકર આપી સન્માન કરાયું હતું. તેમનું નિવૃતિ પછીનું જીવન સુખ, શાંતિથી તેમના પરિવાર સાથે આનંદથી પસાર કરી તંદુરસ્ત દીર્ઘાયું ભોગેવે તેવી નાયબ વન સંરક્ષકશ્રી અને ફોરેસ્ટના સ્ટાફ કર્મીઓએ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે સબ ડી.એફ.ઓ.શ્રી મિતેષભાઇ પટેલ અને શ્રી શ્રેયશભાઇ પટેલ, આર.એફ.ઓ.શ્રીઓ, નાયબ વન સંરક્ષકશ્રીની કચેરીનો સ્ટાફ અને શ્રી પરમારના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતાં.