જંગલની જમીન માટે આદિવાસીઓ વિફર્યા
ભરૂચ: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં જંગલની જમીનમાં કપાસનું વાવેતર ઉખેડવા માટે આવી પહોંચેલા વન અધિકારીઓ અને પોલીસ પર ૧૦૦ થી વધુ આદિવાસીઓના ટોળાએ ભારે વિરોધ કરવાનું શરૂ કરતા પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી જેના કારણે મામલો વણસતા તોફાની ટોળાએ પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારામાં બે અધિકારીઓ ઘાયલ થયાં હતા
ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ખટામ રાઉન્ડની બોર બીટમાં કંપાર્ટમેન્ટ ૩૩૪ વાળી રિઝર્વ ફોરેસ્ટની જમીનમાં ફુલસિંગ વાગડીયા વસાવા, અમરસિંગ જાતિયા વસાવા, નવજી અમરસિંગ વસાવા તથા નરેશ ગંભીર વસાવાએ (તમામ રહે, શાકવા, ડેડીયાપાડા) ગેરકાયદેસર પ્રવેશ કરીને ૨૮ જુલાઇના રોજ કપાસના ૨૪૦૦ રોપઓ ઉખેડી નાખ્યા હતા. એ જ જમીનમાં કપાસનું નવેસરથી વાવેતર કર્યું હતું. જેથી ૨જી સપ્ટેમ્બરના રોજ નેતરંગના મદદનિશ સંરક્ષક એ.ડી.ચૌધરી કોલીવાડ (બોગજ) ગામે ૩૦ મજૂરીની મદદથી ઉખેડવા ગયા હતા.
દરમિયાન દિનેશ મોહન વસાવા, જીજ્ઞેશ મોહન વસાવા, રામસિંગ દાજીયા વસાવા, ફુલસિંગ મોતિયા વસાવા (તમામ રહે, શાકવા તથા કોલીવાડ બોગજ ગામના છગન સોનજી વસાવા સહિત અન્ય ૧૦૦ લોકોનું ટોળું ત્યાં આવી પહોંચ્યું હતું. સ્થિતિ બગડશે એવી ભીતિને પગલે ફોરેસ્ટ અધિકારીએ ડેડીયાપાડા પોલીસને આ મામલે જાણ કરતા પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. દરમિયાન ટોળાએ ફોરેસ્ટ અને પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસે ૪-૫ તોફાની તત્વોને પકડી પોલીસ વાહનમાં બેસાડવા જતા અન્ય લોકોએ પોલીસ સાથે ઝપાઝપી કરીને એક આરોપીને છોડાવી લઇને પોલીસ પર પથ્થર મારો કર્યો હતો.