દેશના વિકાસ માટે ટેક્સમાં વધારો જરૂરી છે – નિર્મલા સીતારમન
ન્યુ દિલ્હી,
નાણામંત્રી નિર્મલા સીતારમને બજેટ ૨૦૧૯-૨૦ પર લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે અતિ ધનિક લોકો પર આવક વેરામાં વધારો કરવો એ દેશના વિકાસ માટે નાનકડા યોગદાન સમાન છે. અતિ ધનિકો પર આવક વેરામાં કરવામાં આવેલા વધારા પર પુનર્વિચાર કરવાની અરજીને તેમણે ફગાવી દીધી છે. આ ચર્ચા દરમિયાન તેમણે કહ્યું કે તેમણે જાહેર કરેલા બજેટમાં આર્થિક વિકાસને પણ એટલું જ મહત્વ આપવામાં આવ્યું છે કે જેટલું દેશની સુરક્ષાને આપવામાં આવ્યું હોય.
નિર્મલા સીતારમને ગયા અઠવાડિયે સંસદની બહાર પણ આવો જ વિચાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે દેશના વિકાસ માટે તમામ લોકોએ યોગદાન આપવાની જરૂર છે. બજેટમાં હાઈ નેટવર્થ ધરાવતા વ્યક્તિઓ (એચએનઆઈ) પર સરચાર્જ વધારીને ૩૦ ટકાથી ૪૨.૭ ટકા સુધી કરવાની જાહેરાત કર્યા બાદ છેલ્લા બે દિવસોમાં શેર બજારમાં ભારે કડાકો બોલ્યો છે. જેના કારણે રોકાણકારોના ૩.૫ લાખ કરોડ રૂપિયાની રકમ ડૂબી ગઈ છે. નાણા મંત્રાલયના વિશ્લેષણમાં જણાવ્યું કે બજેટમાં એચએનઆઈ સરચાર્જના ઉંચા આવક વેરાના દર અંતર્ગત આવી જાય છે કારણે કે તે અસોસિએશન ઓફ પર્સન્સ (એઓપી) અથવા ટ્રસ્ટ જેવા નોન-કોર્પોરેટ સંસ્થા તરીકે રોકાણ કરતા હોય છે, જે આવક કાયદામાં વ્યક્તિ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.