૨૫માં ‘‘વિશ્વ આદિવાસી દિવસ’’ની સમગ્ર સુરત જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી
સુરત
આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે આજરોજ તા.૯મી ઓગસ્ટના રોજ ‘વિશ્વ આદિવાસી દિવસ’ ની ઉજવણી અન્ન અને નાગરિક પુરવઠા રાજયમંત્રીશ્રી ધમેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા કેન્દ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઈ વસાવાની ઉપસ્થિતિમાં મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે કરવામાં આવી હતી.આ પ્રસંગે મંત્રીશ્રી જાડેજાએ જણાવ્યું હતું કે, આદિવાસી સમાજએ પ્રકૃતિપ્રેમી સમાજ છે. આદિવાસી સમાજ પોતાની આગવી સંસ્કૃતિ, કલા, પરંપરાઓ સાથે સંકાળાયેલો સમાજ છે. સંયુકત રાષ્ટ્રસંઘે સમગ્ર વિશ્વમાં ૧૯૯૫ની ૯મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો છે ત્યારથી તેની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજય સરકાર આદિવાસી બાંધવોના વિકાસમાં કટિબધ્ધ હોવાનુ જણાવતા મંત્રીએ કહ્યું કે, આદિજાતિ વિદ્યાર્થીઓને ઉચ્ચશિક્ષણની તક પુરી પાડવા માટે રાજપીપળા ખાતે બિરસા મૂંડા ટ્રાયબલ ટ્રાયબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ વેળાએ મંત્રીશ્રીએ આઝાદીની જંગમાં બલિદાન આપનારા આદિવાસી શહીદવીરોને યાદ કરીને તેમના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવાનો અનુરોધ કર્યો હતો. આ વેળાએ કેન્દ્રીય આદિજાતિ આયોગના સભ્યશ્રી હર્ષદભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આદિજાતિ બંધુઓની ૭.૫ ટકા વસ્તી છે. જયારે ગુજરાતમાં ૧૫ ટકા વસ્તી છે. સમગ્ર દેશમાં ગુજરાત રાજયમાં આદિવાસી વિસ્તારોના વિકાસ માટે સૌથી વધુ બજેટની ફાળવણી કરવામાં આવે છે તેમ જણાવી ૧૦ મુદ્દા અમલીકરણમાં રાજયએ નોંધપાત્ર સિધ્ધિ મેળવી હોવાનું કહ્યું હતું. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વનબંધુ કલ્યાણ યોજના દ્વારા ૧૫ હજાર કરોડની ફાળવણી કરીને વિકાસકાર્યો કર્યા હતા. ત્યાર બાદ ઉત્તરોત્તર બજેટમાં વધારો કરીને ૪૦ હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આદિજાતિ આયોગ વિશે માહિતી આપતા કહ્યું કે, કોઈ આદિવાસીઓ ભાઈઓ-બહેનોને નોકરી કે અન્ય સ્થળોએ સમસ્યા હોય તો તે રજુઆત કરી શકે છે. તેમની સમસ્યાઓના નિરાકરણ માટે આયોગ મહત્વની ભૂમિકા અદા કરતું હોવાનું તેમણે ઉમેર્યું હતું. શ્રી વસાવાએ આદિવાસી સમાજના ઈતિહાસને વગોળતા કહ્યું કે, સોમનાથના રક્ષણ માટે વેગડા ભીલ તથા માનગઢ ખાતે હજારો આદિવાસીવીરોએ પોતાના બલિદાનો આપ્યા છે. આ વેળાએ ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ જણાવ્યું હતું કે, રાજય સરકારે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓના અમલીકરણથકી રાજયની વિકાસયાત્રામાં આદિવાસી બાંધવોને સક્રિય ભાગીદાર બનાવ્યા છે. મહુવા તાલુકામાં રસ્તા, પાણી, આરોગ્ય તથા સિંચાઈ જેવી અનેકવિધ સુવિધાઓ રાજય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી હોવાનું તેમણે કહ્યું હતું.આદિવાસી સાંસ્કૃત્તિક કલામંડળો પરંપરાગત આદિવાસી નૃત્યો અને વાદ્યોની સંગીતમય કસૂરાવલીઓ છેડીને મંત્રીશ્રીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વેળાએ નાના ભૂલકાઓએ આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા પારંપરિક વેશભૂષા ધારણ કરીને આકર્ષણ જમાવ્યું હતું. આ વેળાએ આદિવાસીઓના પરંપરાગત ધૈરેયા નૃત્યમાં મહાનુભાવો પણ જોડાયા હતા. તાલુકાના તેજસ્વી તારલાઓ, પ્રગતિશીલ ખેડૂતો, સ્પોર્ટ્સમાં ઝળકેલા રમતવીરોનું મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, જિલ્લા પક્ષ પ્રમુખશ્રી દિલિપસિંહ રાઠોડ, સુરત ડિસ્ટ્રીક બેંકના ચેરમેનશ્રી નરેશભાઈ, મહામંત્રી સંદિપ દેસાઈ, અગ્રણી જીગરભાઈ, ઉદયભાઈ તેમજ મોટી સંખ્યામાં આદિવાસીબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા.