સાવલી તાલુકાની ૧૬ પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ લખશે બાપુને પત્ર…
વડોદરા,
આ વર્ષે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દી એટલે કે ૧૫૦ વર્ષની ઉજવણી કરવાનું રાષ્ટ્રવ્યાપી આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે સાવલી તાલુકાના ભાદરવા સી.આર.સી.હેઠળની ૧૬ પ્રાથમિક શાળાઓના બાળકો પૂજ્ય બાપુને ૧૫૦ શબ્દોનો પત્ર લખશે અને સ્વાવલંબન સહિતના ગાંધી વિચારોને જીવન અને વ્યવહારમાં ઉતારીને આદર્શ વિદ્યાર્થી બનવાની રૂપરેખા આપશે.સી.આર.સી.કો-ઓર્ડીનેટર શ્રી મુકેશ શર્માના માર્ગદર્શન અને સંકલન હેઠળ વિદ્યાર્થી ઘડતરનું આ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
તાજેતરમાં જ આદર્શ વિદ્યાર્થી અને આદર્શ સમાજના ઘડતરમાં ગાંધી મૂલ્યોને વણી લેવાના આશય સાથે આ શાળાઓમાં વિવિધ સ્વચ્છતાલક્ષી પ્રવૃતિઓ દ્વારા ૧૫ દિવસનું સ્વચ્છતા અભિયાન હાથ ધરીને સ્વચ્છ શરીર, સ્વચ્છ ગામ અને સ્વસ્થ સમાજનું દિશાદર્શન કરાવવામાં આવ્યું હતું.
સ્વચ્છતા પખવાડીક હેઠળ નિબંધ અને ચિત્ર સ્પર્ધા, હાથ ધોવાની અનિવાર્યતા સમજાવવા હેન્ડ વોશ ડે, સ્વચ્છતા પ્રદર્શન, પત્ર લેખન, વ્યક્તિગત સફાઈ દિવસ, ઘર અને ફળિયાની સફાઈની અગત્યતા સમજાવવા જેવા કાર્યક્રમો યોજાયા હતા જેમાં ધોરણ ૩ થી ૮ના વિદ્યાર્થીઓ જોડાયાં હતા. આ ૧૬ પ્રાથમિક શાળાઓમાં અંદાજે ૨,૮૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યાં છે.