શારીરિક માનસિક તંદુરસ્તી માટે હાર્ટફુલનેસ મેડિટેશન અપનાવો
વડોદરા,
ઇન્ટરનેશનલ પીસ ડે-આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસે ગુજરાત સરકારની વીજ ઉત્પાદક સંસ્થા જીઆઈપીસીએલ એ શ્રી રામચંદ્ર મિશન હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ ના સહયોગથી સભર હૃદય ધ્યાન સત્ર-હાર્ટફુલનેસ મેડિટેશનનું આયોજન કર્યું હતું જેનું સંચાલન ભારતીય વહીવટી સેવાના મુખ્ય સચિવની કક્ષાના વરિષ્ઠ સનદી અધિકારી અને મુંબઇ પોર્ટ ટ્રસ્ટના સુકાની સંજય ભાટિયા કરી રહ્યા છે. પ્રધાનમંત્રીશ્રી ની ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વેગ આપી શકે એવા આ પ્રાણ આહુતિ ધ્યાનસત્રમાં વરિષ્ઠ આઈએએસ/આઇપીએસ અધિકારીઓ, ભૂતપૂર્વ મુખ્ય સચિવશ્રી સહિત નિવૃત્ત પોલીસ અને સનદી સેવાના ઉચ્ચાધિકારીઓ,જીઆઈપીસીએલ ના અધિકારીઓ, કર્મચારીઓ અને પરિવારજનો, અન્ય ઔદ્યોગિક એકમો, ઔદ્યોગિક મંડળોના પ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ અને ગ્રામજનો ભાગ લઈ રહ્યા છે.
પોતાના અનુભવોને ટાંકતા શ્રીસંજય ભાટિયાએ જણાવ્યું કે સભર હૃદય ધ્યાન એટલે કે હાર્ટફુલનેસ મેડિટેશન વર્તમાન જીવનના તણાવો, અહમનો ટકરાવ, આક્રમકતા, પારિવારિક અને અન્ય શોક અને આઘાતોનું શમન કરીને આત્મીય ચેતના, મનોશાંતિ અને ઉર્જાની અનુભૂતિ કરાવે છે. આ ધ્યાન ખૂબ જ સરળ છે અને એનાથી એકાગ્રતા અને વ્યવસાયિક કુશળતા વધી શકે છે, પડકારોનું વિશ્વલેષણ કરીને માર્ગ કાઢવાની કુશળતા કેળવાય છે. શેરિંગ,કેરિંગ અને ટીમ વર્કની ભાવના મજબૂત બને છે. આ ધ્યાન ધર્મ કે કોમના ભેદ વગર કોઈ પણ કરી શકે છે અને હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ દ્વારા એનું પ્રશિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે.
તેમણે જણાવ્યું કે પ્રાણાહુતી ધ્યાનની આ પદ્ધતિથી મારુ જીવન શાકાહારી અને વ્યસનમુક્ત બનવાની સાથે જીવન સંઘર્ષો સામે લડવાનું બળ મળ્યું છે.હું છેલ્લા ૧૮ વર્ષથી સાધના ની સાથે આ ધ્યાનયોગના પ્રચાર અને તાલીમ નું કામ સ્વેચ્છાએ કરી રહ્યો છું.
સુરત કલેક્ટર તરીકે અતિ વિકટ પુરનો સામનો કરવાનો પડકાર આવ્યો જેની આરોગ્ય પર વિપરીત અસર પડી અને તણાવનો અનુભવ કર્યો, એ કટોકટી સમયે પ્રાણાહુતિ ધ્યાન અપનાવ્યું અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થયો એવી લાગણી વ્યક્ત કરતાં જીઆઈપીસીએલ ના વહીવટી સંચાલક વત્સલા વાસુદેવ એ સહુને આવકારતા જણાવ્યું કે મુંબઇ મહાનગરપાલિકા ના ૧ લાખ કર્મચારીઓએ આ ધ્યાન પરંપરા અપનાવી છે અને હું છેલ્લા ૧૧ વર્ષથી એની સાધના અને તાલીમ-પ્રચારનું કામ સ્વૈચ્છીક સેવા તરીકે કરું છું. આ ધ્યાન યોગ જીવનને સંતુલિત રાખવામાં ખૂબ ઉપયોગી છે, જે ઈચ્છે એ કરી શકે એટલું સરળ છે અને તે હૃદયની ઉર્જા અને તેજસ્વીતા વધારે છે.
શ્રી રામચંદ્ર મિશન હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ ના મધ્ય ગુજરાતના કો-ઓર્ડીનેટર શ્રીવિવાન પટેલે જણાવ્યું કે પ્રધાનમંત્રીશ્રી એ ફિટ ઇન્ડિયાનું આવકાર્ય અભિયાન શરૂ કર્યું છે જેમાં આ મનની કેળવણીની પ્રાણ આહુતિ ધ્યાન યોગ પરંપરા ખૂબ જ પ્રોત્સાહક બની શકે છે.સંસ્થા ૭૫ વર્ષથી ધર્મ કે કોમના ભેદ વગર વિનામૂલ્યે એનું પ્રશિક્ષણ આપે છે અને વિશ્વના ૧૫૦ દેશોમાં એના સાધના કેન્દ્રો છે.
વડોદરામાં વાઘોડિયા રોડની આમોદર ચોકડી પાસે એનું મુખ્ય અને શહેરના વિવિધ વિસ્તારોમાં ૧૨ પેટા કેન્દ્રો છે અને ૭૦ જેટલા સાધકો એની તાલીમ આપે છે. રાજ્ય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીશ્રી સંજય ભાટિયા, શહેર પોલીસ કમિશ્નરશ્રી અનુપમસિંહજી સહિત મહાનુભાવો ધ્યાન સત્રમાં જોડાયા હતાં.