લોકડાઉન વચ્ચે સુરતની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને ઓનલાઇન શિક્ષણનો મહાયજ્ઞ
કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી વચ્ચે સમગ્ર દેશમાં લોકડાઉન છે. જેના પગલે સમગ્ર સુરત જિલ્લાની પ્રાથમિક શાળાઓ બંધ છે ત્યારે બાળકો પોતાનો અભ્યાસ ભૂલે નહીં અને ઘરના હૂંફાળા માળામાં સલામત રહીને પોતાનું શિક્ષણ તાજુ રાખે એ માટે રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે. આ કટિબદ્ધતા સંદર્ભે રાજ્યના શિક્ષણ વિભાગે લોકડાઉનના સમયમાં બંધની શાળાઓ હોવા છતાં ધોરણ ૩ થી ૮ ના બાળકોનો શિક્ષણ સાથેનો તંતુ જોડાયેલો રહે એ માટે વોટ્સએપના માધ્યમ દ્વારા જી.સી.ઈ.આર.ટી.ગાંધીનગર અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા તૈયાર કરેલ સાહિત્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ તમામ બી.આર.સી. અને સી.આર.સી. કો-ઓર્ડીનેટર થકી શાળાના શિક્ષકો દ્વારા વાલીઓને પહોંચાડવામાં આવે છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.એચ. રાજ્યગુરુએ જણાવ્યું હતું કે જે વાલીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલની સુવિધા નથી તેમના બાળકોને એન્ડ્રોઇડ મોબાઈલ ધરાવતા વાલીઓ આ સાહિત્યનો લાભ આપે એવું સુંદર સંકલન જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા ગોઠવાયું છે.
તેમણે ઉમેર્યું હતું કે સ્ટડી ફ્રોમ હોમ અંતર્ગત જિલ્લાની ૯૭૪ પ્રાથમિક શાળાઓના ધોરણ ૩ થી ૮ ના આશરે ૪૭૬૮૬ જેટલા બાળકોને આવરી લેવામાં આવ્યા છે. જિલ્લાના ૪૩૩૮ જેટલા શિક્ષક ભાઈ-બહેનો વોટ્સએપ ગૃપ દ્વારા ૪૫૭૫૧ જેટલા વાલીઓના સતત સંપર્કમાં છે જે નોંધનીય બાબત છે. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા જિલ્લાના પ્લાનિંગ એન્ડ મોનીટરીંગ વિભાગના કો-ઓર્ડીનેટર નારણભાઈ જાદવે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગના આ અભિગમને વખતોવખત શિક્ષકો દ્વારા વાલી સુધી પહોંચાડવામાં આવે છે. ઘરબંધીમાં બાળકો રમતા રમતા ભણવાનો આનંદ માણી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાની નોંધ જે-તે શાળાના શિક્ષકો દ્વારા વાલીઓની રૂબરૂ મુલાકાત અથવા ટેલિફોનીક સંપર્ક દ્વારા રાખવામાં આવે છે જે સરાહનીય બાબત છે. પરિવારનો માળો સલામત અને હુંફાળો, સ્ટડી ફ્રોમ હોમ, ગ્રંથાલય જ્ઞાનસંગ્રહ જેવા વિશિષ્ટ અભિગમ ઉપરાંત ટીવીના માધ્યમથી બાળકોને શિક્ષણ આપવાના ગુજરાતના શિક્ષણ વિભાગના શુભ હેતુને/નવતર અભિગમને સુરત જિલ્લામાં યોગ્ય પ્રતિસાદ સાંપડી રહ્યો છે.