નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ, વઘઇ દ્વારા કોરોના યોદ્ધાઓને સન્માન પત્ર પાઠવી પ્રોત્સાહિત કરાયા
- આ ટ્રસ્ટ દ્વારા સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરી ડીજીટલ સ્વરૂપે ઈન્ટરનેટના માધ્યમથી કોરોના વોરિયર્સનો વિશિષ્ટ આભાર માની તેઓના મનોબળ સાથે જોમ અને જુસ્સો વધારી પ્રેરણારૂપ કામગીરી કરી
આહવા,
હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સંજોગોમાં ઘરની ચિંતા કર્યા વગર માનવજાત ને બચાવવા દિવસ-રાત મહેનત કરતા અને વૈશ્વિક મહામારી ની આ વિકટ પરિસ્થિત સામે લડવા માટે કોરોના સામેની જંગમાં નિડરતા પૂર્વક કોરોના વોરિયર્સ કામગીરી કરી રહયા છે. કોરોનાને માત આપવા માટે લોકસેવાની ભાવનાથી ઉત્તમ કામગીરી કરી કોરોના વાઇરસને હરાવવા યુધ્ધના મેદાનમાં ઉતરેલા આરોગ્ય વિભાગના કર્મીઓ, ડોક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, આર.બી.એસ.કે સ્ટાફ,૧૦૮ માં ફરજ બજાવતા કર્મીઓ, પોલીસ વિભાગના કર્મીઓ, પત્રકારો, તથા અન્ય સંલગ્ન વિભાગ ના અનેક વિરલ યોદ્ધાઓ ઝઝુમી રહયા છે. જેમણે આટલા વિપરીત વાતાવરણ વચ્ચે રહી પોતાના પરિવારની નહીં પણ આપણાં સૌના પરિવારના રક્ષણ માટે તેઓ સેવા આપી રહેલ છે.
આ તમામ કોરોના વોરિયર્સનું મનોબળ વધે તે હેતુથી નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વઘઇ પરીવાર વતી કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવવા કોરોના વોરિયર્સ નો આભાર માની સ્નેહસભર આભાર સન્માન પત્ર પાઠવવામાં આવી રહ્યા છે. કોરોના વાઇરસ ના સંક્રમણના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ ન થાય અને જાહેરનામાનો પણ ભંગ ન થાય એ માટે કોરોના વોરિયર્સને સોશ્યલ મિડિયા ના માધ્યમથી ડીજીટલ સ્વરૂપે ઈન્ટરનેટના માધ્યમથી સન્માન પત્ર મોકલી.તેમની કામગીરી ને બિરદાવી વિશિષ્ટ સેવા આભાર સન્માન પત્ર આપી તેઓના મનોબળ સાથે જોમ જુસ્સો વધાર્યો હતો.કોરોના વોરિયર્સે નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વઘઇ પરીવાર દ્વારા સન્માન પત્ર આપવા બદલ અને તેઓની ઉત્કૃષ્ઠ કામગીરી ને બિરદાવવા બદલ ટ્રસ્ટ ના પ્રમુખ હિતાર્થ પટેલ, ઉપ પ્રમુખ
ગુલાબભાઈ.એન.પટેલ, મંત્રી માધવભાઈ ચૌધરી તથા તમામ ટ્રસ્ટીઓનો તમામ આભાર માન્યો હતો. આ ટ્રસ્ટ દ્વારા વઘઇ ખાતે સ્વચ્છતામાં સહયોગ આપી ફરજ અદા કરતા સફાઈ કર્મીઓને અનાજની કીટ સાથે સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. નવસર્જન આદિવાસી વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટે તમામ કોરોના વોરિયર્સની કામગીરીને બિરદાવી આભાર વ્યક્ત કર્યો હતો.