વાસણામાં નાના નાના વ્હાલુડા ઓને વ્હાલ કરતી કલિયુગમાં માતા યશોદા
- આંગણવાડીના ૫૬ ભૂલકાઓ રોજ ઉકાળાનું સેવન કરાવતી આંગણવાડી કાર્યકર
- રમઝાનમાં સવારે ઉકાળાનું સેવન ના કરી શકતા બિરાદરો સાંજે રોઝા ખોલતા સમયે અવશ્ય સેવન કરે છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાનો વ્પાય વધતા જ શહેરથી લઇ ગ્રામ્ય વિસ્તાર સંક્રમણની અસરમાં આવી ગયા જેમાં અરવલ્લી જિલ્લામાં માલપુર તાલુકાને બાદ કરતા તમામ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી પ્રભાવિત થયા છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિમાં પણ અરવલ્લીના મેઘરજ તાલુકાના વાસણા ગામમાં નાના ભૂલકાઓની ચિંતા કલિયુગમાં એક માતા યશોદા કરી રહી છે. મેઘરજ તાલુકાનું વાસણા ગામ કે જ્યાં માંડ ૪૩૬ની વસતી છે.
જેમાં મોટાભાગના મજૂરીયાત વર્ગ છે પરંતુ વાસણાના એક ભાગ કે જયાં બહુધા મુસ્લિમ વસતી છે ત્યાં ચાલતા આંગણવાડી કેન્દ્રમાં ૫૬ બાળકો આવતા હતા પરંતુ લોકડાઉન અમલી થંતા જ આંગણવાડી કેન્દ્રો બંધ કરાયા, પરંતુ એક માતૃવત્સલ માતાને પોતાના બાળકોને મળ્યા વિના ન ચાલે તેમ વાસણા કેન્દ્રના કાર્યકર ઉષાબેન પંડ્યા રોજ તેમના વ્હાલુડાઓને મળવા પંહોચી જાય તે પણ ખાલી હાથે નહિ તેમના આરોગ્યની ચિંતા કરી તેમના રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે આયુર્વેદ ઉકાળો પણ લઇ જઇ તેમના ઘરે બેસી પીવડાવે છે.
આ અંગે વાત કરતા આંગણવાડી કાર્યકર ઉષાબેન પંડ્યા કહે છે કે, લોકડાઉન અમલ થંતા જ આંગણવાડીના બદલે તેડાગર બેનની સાથે અમે કિશોરીઓને પૂર્ણાશક્તિ બાળકોને બાલશક્તિના પેકૅટ તો આપતા જ હતા, પરંતુ કોરોનાથી સૌથી વધુ સંક્રમિત થવાનો ભય નાના બાળકો અને સર્ગભાઓને હોય છે. તેને લઇ સૌ પ્રથમ તો આ રોગ અંગે જાણકારી મળી રહે તે સોશ્યિલ ડિસ્ટન્સિંગ, હેન્ડ સેનેટાઇઝ કરવાની સમજ આપવાની તેમજ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરાવવાનું કામ કર્યુ,
બાદમાં તેમના રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે પોતાના ઘરેથી જ ગોળ-સૂંઠ, મરી ,તુલસી, અરડુસી સહિતના પદાર્થેા લઇ કેન્દ્ર પર ઉકાળો બનાવવાનું શરૂ કર્યુ અને તેને બરણીમાં ભરી ૫૬ બાળકોને ઘરે-ઘરે પીવડાવાનો નિત્યક્રમ પણ બનાવી લીધો તો સાથે ૧૦ સર્ગભા અને ૬ ધાત્રી માતાઓને પણ આ સેવન માટે પ્રેરીત કરી,
ખાસ વાત તો એ છે કે ત્યાં આસપાસમાં મુસ્લિમ વિસ્તારવધુ છે જેમને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તો ઉકાળાનું સેવન નથી કરી શકતા પરંતુ પોતાના ભાગનો ઉકાળો લઇ સાંજે રોઝા ખોલતા સમયે અવશ્ય સેવન કરે છે. જેમાંના મોટાભાગના તો વયોવૃધ્ધ પણ છે. કોરોનાની કપરા કાળમાં આ નાના વ્હાલુડાઓને વ્હાલ કરતી માતા યશોદા સાચા અર્થમાં કોરાના વોરીયર બની સેવા કરી રહી છે.