મેડિકલ વર્કર સૈનિક સાથે હિંસા ચલાવી નહી લેવાય : મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે કોરોનાને કારણે હવે આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજીનો ઉપયોગ અને ભવિષ્યલક્ષી સુધારા કરવાનો સમય આવી ગયો છે. તેમણે બેંગાલુરુ સ્થિત રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સને વીડિયો દ્વારા સંબોધન કર્યું હતું. યુનિવર્સિટીના ૨૫મા સ્થાપના દિવસે તેમણે આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીની જરૂરિયાત પર ભાર મુક્યો હતો. વડા પ્રધાને કહ્યું હતું કે હવે દૂર બેઠા બેઠા સારવાર થઈ શકે એવી ટેલિ-મેડિસિન અને ઈન્ફર્મેશન ટેકનોલોજી આધારીત હેલ્થ સિસ્ટમ દેશમાં વિકસે તે ખુબ જરૂરી છે.
કોરોનાનો સંદર્ભ આપી તેમણે કહ્યું હતું કે વાઈરસની સ્થિતિને કારણે સૌ કોઈને આરોગ્ય ક્ષેત્રનું મહત્ત્વ સમજાઈ રહ્યું છે. આખુ વિશ્વ નર્સ, ડોક્ટર, મેડિકલ વિજ્ઞાાની, હેલ્થકેર સાથે સંકળાયેલા સૌ કોઈ સામે આદરભરી નજરે જોતું થયું છે. જોકે તેમણે એ વાતનો ઉલ્લેખ કર્યા હતો કે ક્યાંક ક્યાંક કોરોના વોરિયર્સ સાથે ગેરવર્તન થયું છે, ક્યાંક તેમના પર હુમલા થયા છે. એ કોઈ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે.
આરોગ્ય ક્ષેત્રે આગામી દિવસોમાં મેક ઇન ઈન્ડિયા હેઠળ બનેલી પ્રોડક્ટ વધુ વપરાય એ મુદ્દા પર પણ તેમણે ભાર આપ્યો હતો. તેમણે કહ્યુ હતું કે જે રીતે વિશ્વયુદ્ધ પછી જગત બદલાઈ ગયું હતુ એમ અત્યારે કોરોના પછીની દુનિયા અલગ હશે. એ વખતે ઉભા થનારા પડકારોને આપણે પહોંચી વળીને આપણે ટેલિ-મેડિસિન જેવી ટેકનોલોજી લોકભોગ્ય બને એ દિશામાં કામ કરવું જોઈએ.