ટેક્સટાઇલ માર્કેટની દુકાન સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે
કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે પુનઃ ધંધાકીય માહોલ સ્થાપિત કરવા ઓડ-ઇવન સિસ્ટમથી ચાલતી ટેક્સટાઇલ માર્કેટોના સમયગાળામાં 1 કલાકનો વધારો કરવાની સાથે તમામ દુકાનો એક સાથે ખુલ્લી રાખી શકાય તેવો નિર્ણય એસએમસી દ્વારા કરવામાં આવ્યો છે. અનલોક 1 અને 2 ની જાહેરાત બાદ પણ શહેરના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ટ્રેડિંગ, વીવીંગ, પ્રોસેસિંગ પૂર્ણ રીતે શરૂ થયા નથી. બીજી તરફ એસએમસીએ કોરોનાનું સંક્રમણ ઘટાડવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી એસઓપી અંતર્ગત વેપારીઓ દ્વારા રીંગરોડ ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારની 165 માર્કેટના 75000 વેપારીઓ પૈકી માંડ 30 થી 40 ટકા દુકાનો જ કાર્યરત થઈ શકી હતી. કોરોનાના ભયથી વતન ચાલ્યા ગયેલા કારીગરો હવે સુરત પરત ફરી રહ્યા છે. ત્યારે પુનઃસ્થાપિત વેપાર સ્થાપિત કરવા આજે વધુ છુટછાટ જાહેર કરવામાં આવી છે.
જેમાં સવારે 10 થી સાંજે 5ના સમયમાં 1 કલાકનો વધારો કરવાની સાથે સાંજે 6 વાગ્યા સુધી માર્કેટ ચાલુ રાખવાની પરવાનગી આપવામાં આવી છે. આ ઉપરાંત મંગળવારથી માર્કેટોમાં દુકાન ઓડ-ઈવન સિસ્ટમની જગ્યાએ તમામ દુકાનો ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ અંગે ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલ અને મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું હતું કે 1 કલાકના સમય વધારાની સાથે ઓડ-ઇવન સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય યોગ્ય છે. પરંતુ માર્કેટમાં આવતાં વેપારીઓ અને કારીગરોએ ફરજિયાત રેપિડ ટેસ્ટ કરાવવાનો રહેશે. તે અંગે પણ સુચનો આપવામાં આવ્યા છે. આ સાથે કારીગરો અને માર્કેટમાં આવનારા તમામના રજિસ્ટર મેઈન્ટેઈન કરવા, થર્મલ ગનથી ચકાસણી, સેનિટાઈઝરનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમનું પાલન કરવાનું રહેશે.