જલ જીવન મિશન અંતર્ગત “નલ સે જલ” કાર્યક્રમ હેઠળ રૂ. 1.90 કરોડની લોકભાગીદારી યોજનાઓ મંજૂર
- જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી બાકી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા અનુરોધ
પાટણ : જલ જીવન મિશન અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં રૂ.૧.૯૦ કરોડની યોજનાઓ મંજૂર કરવામાં આવી. વોટર એન્ડ સેનીટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) દ્વારા પ્રગતિ હેઠળના કામો અંગે કલેક્ટરશ્રીને અવગત કરવામાં આવ્યા હતા. જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં નલ સે જલ કાર્યક્રમ હેઠળ કુલ ૧૦ નવીન યોજનાઓ માટે દરખાસ્ત કરવામાં આવી. જેના પગલે ૯૦૪ જેટલા નળ કનેક્શન માટે અંદાજીત રૂ.૧.૯૦ કરોડની સુચિત લોકભાગીદારીવાળી યોજનાઓને મંજૂરી આપવામાં આવી.
આ યોજનાઓ અંતર્ગત પાટણ તાલુકામાં ૦૩, ચાણસ્મા તાલુકામાં ૦૨, હારીજ તાલુકામાં ૦૩ તથા સરસ્વતી અને શંખેશ્વર તાલુકાઓમાં ૦૧-૦૧ યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ દ્વારા હાલ પ્રગતિ હેઠળના કુલ ૪૩ ગામોની યોજનાઓ અંગે સમિક્ષા કરવામાં આવી. સાથે જ સમયમર્યાદામાં ગ્રામજનોને પાણી પુરવઠો ઉપલબ્ધ થાય તે માટે બાકી યોજનાઓની કામગીરી સત્વરે પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં વાસ્મોના યુનિટ મેનેજર સુશ્રી પ્રિતિબેન ચૌહાણ, વાસ્મોના ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેટરશ્રી સહિત જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
જય આચાર્ય