જામનગર મનપાને 34 કરોડ અને પાલિકાને મળીને રૂ. 1,12,50,000ના ચેક અપાયાં
- જામનગરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રીના પ્રેરક ઉપસ્થિતિ
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૦૦૦ કરોડની રકમ ચેક વિતરણ ઓનલાઇન સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર ખાતે ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સાંસદના હસ્તે જામનગર મહાનગરપાલિકાને રૂ.૩૪ કરોડ અને જામજોધપુર, ધ્રોલ, સિક્કા અને કાલાવડ દરેક નગરપાલિકાને રૂ. ૧૧૨૫૦૦૦૦ના ચેકનું વિતરણ કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા મહેસૂલ સેવા સદન જામનગર ખાતે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, મેયર હસમુખભાઇ જેઠવા, ડેપ્યુટી મેયર કરશનભાઇ કરમૂર, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષ જોશી, કમિશનર સતીષ પટેલ, શાસક પક્ષના નેતા દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ પ્રમુખ હસમુખ ભાઈ હિંડોચા, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્યના તમામ શહેરોમાં પાયાની સવલતો સુદ્રઢ વ્યવસ્થાપન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા રસ્તા-પાણી, ભૂગર્ભ ગટર, સલામતી, સફાઇ સહિતની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસ કામો હાથ ધરવા જણાવ્યું હતુ.
નાણા વગર કોઈ કામ અટકશે નહીં આ બાબતે સરકાર કોઈ પણ જાતની કચાશ રાખશે નહીં એમ પણ જણાવ્યું હતું. જિલ્લા મહેસૂલ સેવાસદન ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે, મુખ્યમંત્રીના સંકલ્પને સાકાર કરવા સંવેદના સાથે છેવાડાના માનવીનું હિત સચવાઈ તેવી રીતે વિકાસ કામોનું આયોજન કરાશે.
– રોહિત મેરાણી (જામનગર)