મંદી હૈ તો મુમકિન હૈ : અદાણી સહિત ગુજરાતની કંપનીઓના શેરોનાં 41 ટકા સુધીનો ઘટાડો નોંધાયો….!

મંદી હૈ તો મુમકિન હૈ : અદાણી સહિત ગુજરાતની કંપનીઓના શેરોનાં 41 ટકા સુધીનો ઘટાડો નોંધાયો….!
Spread the love
  • અદાણી ટ્રાન્સમિશન (41 ટકા), અદાણી પાવર (-38 ટકા).. જીએસપીએલ (-15 ટકા), યુપીએલ (-14 ટકા), કેડિલા હેલ્થકેર (-6 ટકા)માં ઘટાડો

ગાંધીનગર,

ચાલુ સપ્તાહના પ્રથમ દિવસ સોમવાર શેરબજાર માટે બ્લેક મન્ડે સાબિત થયો તેના અગાઉના બે શુક્રવાર પણ બ્લેક ફ્રાઇડે સાબિત થયા અને રોકાણકારોની અંદાજે કુલ મળીને 12 લાખ કરોડથી વધારેની સંપત્તિનું ધોવાણ થઇ ગયું, જેમાં ગુજરાતની વિવિધ કંપનીઓના શેરો પણ વગર વરસાદે ધોવાઇ ગયા તેની નોંધ ખૂબ ઓછા લોકોએ લીધી હશે. સૌથી વધુ ધોવાણ સરકારની નજીક મનાતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીઓને થયું છે અને તેમની વિવિધ કંપનીઓના શેરોમાં 41 ટકા સુધીનો ધરખમ ઘટાડો નોંધાયો હતો. ચોક્કસ કેટલા કરોડ કે કેટલા લાખ કરોડનું ધોવાણ થયું તેનો આંકડો બહાર આવ્યો નથી, પણ તે ઓછો તો નહીં જ હોય.

શેરબજાર પર નજર રાખનારા નિષ્ણાતોના અહેવાલ પ્રમાણે, કોરોના વાઇરસે વૈશ્વિક અર્થતંત્રને ભરડામાં લેતાં શેરબજારોએ છેલ્લાં બે સપ્તાહ દરમિયાન તીવ્ર વેલ્યુએશન ધોવાણ દર્શાવ્યું છે અને રોકાણકારોમાં નિરાશા જોવા મળી રહી છે ત્યારે ગુજરાત સ્થિત કંપનીઓ પણ મૂલ્ય ધોવાણમાંથી બાકાત રહી નથી. શેરના ભાવમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવનાર ગુજરાતની અગ્રણી કંપનીઓમાં ગૌતમ અદાણીની માલિકીની કંપનીઓ ટોચ પર હતી. જૂથની લિસ્ટેડ કંપનીઓએ વૈશ્વિક સ્તરે કોરોના વાઇરસના સમાચારથી લઈને સોમવાર સુધીમાં તેમના બજારભાવમાં 41 ટકા સુધીનો ઘટાડો નોંધાવ્યો હતો. આ સિવાય રાજ્યની અન્ય લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં પણ બે આંકડામાં ઘટાડો નોંધાયો હતો.

ચીન ખાતે કોરોના વાઇરસની જાણ થઈ તે 20 જાન્યુઆરી-2020ના બજારભાવથી સોમવારે માર્કેટમાં જોવા મળેલા છેલ્લાં 10 વર્ષના સૌથી મોટા ઘટાડા સુધીમાં અભ્યાસમાં લીધેલી અગ્રણી ગુજરાતની કંપનીઓના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં અદાણી ટ્રાન્સમિશન (41 ટકા), અદાણી પાવર (-38 ટકા), અદાણી ગ્રીન (-30.47 ટકા), અદાણી પોર્ટ્સ (-17.21 ટકા) અને અદાણી એન્ટરપ્રાઇઝ (-14 ટકા)નો સમાવેશ થાય છે.

અદાણી જૂથ સિવાય શેરના ભાવમાં ઊંચો ઘટાડો દર્શાવનાર કંપનીઓમાં જીએસપીએલ (-15 ટકા), યુપીએલ (-14 ટકા), કેડિલા હેલ્થકેર (-6 ટકા) અને એસ્ટ્રલ (-1 ટકા)નો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન બેન્ચમાર્ક્સ નિફ્ટી અને સેન્સેક્સ લગભગ 19 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યા હતા. ઘટાડો દર્શાવનાર કંપનીઓ સાથે ગુજરાતની કેટલીક કંપનીઓએ બ્રોડ માર્કેટથી વિપરીત દિશામાં ગતિ કરતાં નોંધપાત્ર સુધારો પણ દર્શાવ્યો છે. જેમાં સ્પેશિયાલિટી કેમિકલ કંપની અતુલ લિ સૌથી મોખરે છે.

અતુલ કંપનીનો શેર સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન 12 ટકા જેટલો સુધર્યો છે અને તેણે તેની સર્વોચ્ચ સપાટી પણ દર્શાવી હતી. આવી અન્ય કંપનીઓમાં એઆઇએ એન્જિનિયરીંગ (7.65 ટકા), આરતી ઇન્ડ. (6.82ટકા), ગુજરાત ગેસ(1.70 ટકા), એપીએલ લિ. (1.67 ટક), ટોરેન્ટ ફાર્મા (1.52ટકા) અને એર કૂલર બનાવનાર સિમ્ફની (1.23 ટકા)નો સમાવેશ થાય છે. માર્કેટમાં મંદીનો તીવ્ર માહોલ જોવા મળી રહ્યું હતું ત્યારે ઉપરોક્ત કંપનીઓએ ટ્રેન્ડથી વિરુદ્ધ ચાલીને દર્શાવ્યું છે કે તેમનાં બિઝનેસ ફંડામેન્ટલ્સ પર કોરોના ઘટનાની કોઈ વિપરીત અસરની સંભાવના નથી. આનાથી ઊલટું અતુલ જેવી કંપનીને કોરોનાને કારણે લાભ મળવાની શક્યતા જોવામાં આવી રહી છે.

(જી.એન.એસ,પ્રવિણ ઘમંડે)

Admin

Admin

9909969099
Right Click Disabled!