સાબરકાંઠા જિલ્લા સમાહર્તાએ પ્રાંતિજના ઘડી અને અંબાવાડાના મનરેગા કામોનું નિરીક્ષણ કર્યું
હિંમતનગર,
સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનના સમયમાં મનરેગા યોજના શ્રમિકો માટે વરદાન બની છે. પ્રાંતિજ તાલુકામાં મનરેગા હેઠળ ચાલતા ઘડી અને અંબાવાડા ખાતે તળાવ ઉંડુ કરવાના કામોનુ જિલ્લા કલેક્ટરશ્રી દ્રારા મુલાકાત લઈ નિરિક્ષણ કરવામાં આવ્યું હતું.આ મુલાકાત સમયે તેમણે શ્રમિકો માટે યોગ્ય વ્યવસ્થાઓ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં લોકડાઉનના સમયમાં હાલ મનરેગા યોજના થકી જળ સંચયના કામો થઈ રહ્યા છે. આ કામો થકી સુજલામ સુફલામ જળ અભિયાનના ત્રીજા તબક્કાને વેગ મળવાની સાથે જિલ્લામાં નવી રોજગારીની તકો ઉભી થઈ રહી છે. તા. ૨ જૂન ૨૦૨૦ના રોજ જિલ્લા સમાહર્તા દ્રારા પ્રાંતિજના ઘડી અને અંબાવાડા ખાતે થઈ રહેલા તળાવ ઉંડા કરવાના કામોનુ નિરીક્ષણ કર્યુ હતું. આ સમયે અહિં કામ કરી રહેલા શ્રમિકો માટે કોરોના ગાઇડ લાઇન મુજબ કામો કરવામાં આવી રહ્યા હોવાથી જિલ્લા સમાહર્તા દ્રારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે આગળ પણ શ્રમિકોને વધુ સારી સુવિધા જેવી કે શુધ્ધ અને ઠંડુ પાણી ગરમીમાં બપોરના સમયે છાયડાની સુવિધા સોશિયલ ડિસ્ટસીંગ જાળવીને કામ તેમજ માસ્ક જેવી બાબતો અંગે ધ્યાન રાખવા જણાવ્યું હતું.
ઘડી અને અંબાવાડા ગામમાં આ લોકડાઉન સમયમાં કારખાનાના શ્રમિકોની પાસે રોજગારી ના હોવાથી મનરેગા હેઠળ નવા ૨૭૫ જોબ કાર્ડ બનાવી બેરોજગાર શ્રમિકોને રોજગારી મળી રહી છે. આથી રોજગારી મેળવનાર શ્રમિકો દ્રારા જિલ્લા- તાલુકા વહિવટી તંત્રનો આભાર માન્યો હતો. આ શ્રમિકોને તેમની રોજગારી સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.