શ્રી વચનામૃત દ્ધિશતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ
નડિયાદ,
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ભગવાન સ્વામિનારાયણે સ્વંય ભક્તો સાથે સંવાદ કરીને વચનામૃતની રચના કરી હતી. વચનામૃત માનવીને જીવન જીવવાની દિશા આપે છે. વચનામૃત ગ્રંથ ગદ્ય સાહિત્ય સ્વરૂપે ગુજરાતને પ્રાપ્ત થયો છે જે, કાયમ માટે ગુંજતો રહેશે અને માનવ માત્રને તેમાથી પ્રેરણા મળતી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિધ્ધ સ્વામિનારાય તીર્થધામ વડતાલ ખાતે કાર્તિકી સમૈયાના અવસરે શ્રી વચનામૃત દ્ભિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીશ્રીએ વડતાલ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના શ્રધ્ધા અને ભાવભક્તિ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ જ્ઞાન બાગ તેમજ ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગો, લીલા ચરિત્રો દર્શાવતા પ્રદર્શનને પણ ભાવપૂર્વક નિહાળ્યું હતું. મંખ્યમંત્રીશ્રીના હસ્તે સીંગલ યુજ પ્લાસ્ટીક મુક્ત ગુજરાતના નિમાર્ણ માટે હરિભક્તોને નોન પ્લાસ્ટીક બેગનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડતાલ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પાવન પવિત્ર યાત્રાધામ નગરી છે. ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું, તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડતાલમની ભૂમિ પર વર્ષો પહેલા ભગવાને વચનામૃતની રચના કરી એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ભગવાન સ્વામિનારાયણ રચિત વચનામૃત દ્ધારા દિવ્ય અને આધ્યાત્મિક ચેતના પ્રગટશે જેનું મહિમા ગાન સમગ્ર માનવજાત અને માનવ કલ્યાણ માટે ઉપકારક બની રહેશે.
વચનામૃતના અલગ-અલગ ભાષામાં થઇ રહેલા રૂપાંતરને તેમણે સરાહનીય ગણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્ધારિકા અને પાલિતાણાની જેમ વડતાલનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થતાં રાજય સરકાર દ્ધારા વડતાલધામનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. વડતાલનો પવિત્ર યાત્રાધામ હેઠળ વિકાસ હાથ ધરાતાં આવનાર સમયમાં વડતાલ સમગ્ર દેશ સહિત વિદેશોમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્તો માટે આગવું તીર્થ સ્થળ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ સ્વને બદલે સમષ્ટિ, આત્માથી પરમાત્મા અને જીવથી શિવ સુધી આધ્યાત્મિક ચેતના પ્રગટે તે માટે સૌને નેક બની શ્રેષ્ઠ બની વિશ્વ ફલક ઉપર ગુજરાતની પ્રતિષ્ઠા-માન વધે તે માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ વડતાલ ધામની જન સેવા અને આરોગ્યલક્ષી સેવાઓની બિરદાવી હતી. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અયોધ્યા રામ મંદિર અંગે આવેલા ચૂકાદાને આવકારતા જણાવ્યું કે, ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો તેનો સર્વોચ્ચ અદાલતે ચૂકાદો આપીને કાયમી અંત લાવી દીધો છે. આ નિર્ણયને પરિણામે દેશની એક્તા- અખંડિતતા અને સાંસ્કૃતિક ચેતના વધુ મજબુત થશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીને વચનામૃત ગ્રંથ, વડતાલ ધામની ફોટો ટેબલ બુક અર્પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીશ્રીનું સંતો તેમજ હરિભક્તો દ્ધારા અભિવાદન કરવામાં આવ્યું હતું.