કોમવાદમાં મોદીજી પણ ધોવાઈ જશે કે શું…… ?

કોમવાદમાં મોદીજી પણ ધોવાઈ જશે કે શું…… ?
Spread the love

દેશ વિદેશમાં ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને આપણા વડાપ્રધાન મોદીની મુલાકાત ઉપર નજર હતી. રાજકીય પંડિતોએ અગમવાણી કરી હતી તેમ ટ્રમ્પના હૈયે અમેરિકાનું હિત પ્રથમ હતું. અને તેઓ ભારતને સંરક્ષણ ક્ષેત્રે ખાસ જરૂર હતી તેવા વિમાન સહીતના જરૂરી શસ્ત્ર સામગ્રીનો વેપાર ધંધો કરીને અમેરિકા પરત કર્યા. પરંતુ મેક ઈન ઈન્ડિયા જેઓના હૈયે છે તે મોદીજી વ્યાપાર ન કરી શક્યા….! પણ ભારતનું હિત જોઈને સંરક્ષણ સાધનો માટેના સોદા કર્યા. તે વાત દેશ અને દુનિયામાં ફરી વળી છે. ત્યારે દિલ્હીના શાહીનબાગ નજીક આવેલા મૌજપૂર ખાતે ભાજપાના નેતા કપીલ મીશ્રાએ સીએએની તરફેણમાં લોકોને એકઠા કરી રેલી કાઢી હતી. અને સીએએ તરફીઓ અને સીએએ વિરોધીઓ સામ સામે આવી જતા ધમાલ મચી ગઈ હતી.

ભારે પથ્થરમારો થતાં પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. ત્યારબાદ શાહીનબાગ આજુબાજુના 10 જેટલા જિલ્લાઓમાં કોમી દાવાનળ સળગી ઉઠયો હતો. લોકો હિંસા પર ઉતરી આવ્યા હતા તો અનેક મિલકતોને સળગાવવામાં આવી હતી. જેના પડઘાં દિલ્હીવાસીઓમાં ઘણા ઘેરા પડ્યા છે… તો દેશભરમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જે પ્રત્યાઘાતો ભાજપા માટે નુકસાન દેહી છે અને આવા સમયે જ દેશભરમાં પોલીસની વચ્ચેજ તોફાનીઓ પથ્થલબાજી કરતા ફરી રહ્યા છે અને પથ્થરમારો કરી રહ્યા છે અને પોલીસ માત્ર જોઇ રહી છે કોઇ પગલા નથી લેતી તેનો વીડીઓ વાયરલ પણ થયો છે….

દિલ્હીવાસીઓમાં મૂળ ચર્ચા એ છે કે દિલ્હી ચૂંટણી દરમિયાન નેતાઓએ બેફામ ભડકાઉ ભાષણો આપ્યા હતા અને લોકોમાં ડર પેદા થાય તેવા નિવેદનો કર્યા હતા. તેના કારણે દિલ્હી રાજ્યના લોકો ભડક્યા હતા અને આમ આદમી પાર્ટીને સત્તા આપી હતી… ચૂંટણી પરિણામો સુધી રાજ્યમાં શાંતિ છવાયેલી રહી હતી…. પરંતુ ગુજરાતમાં ટ્રમ્પ આવ્યાના દિવસે ભાજપાના નેતાશ્રીએ રેલી કાઢી હતી. અને ટ્રમ્પ-મિલેનિયા આગ્રા તાજમહેલ મુલાકાતે આવ્યા તે દિવસે મૌજપુર સહિતના દશેક જિલ્લામાં કોમી હિંસા ભડકી ઉઠી….. કે જેનો દિલ્હીવાસીઓને ડર હતો… એટલે દિલ્હીના લોકોમા ભાજપા માટે નફરત ફરી વળી છે……! જેની નોંધ લેવી રાજનેતાઓ માટે અતિ જરૂરી છે……!

તોફાનના બીજા દિવસે એટલે કે 27મીએ દિલ્હીની હાઇકોર્ટમાં દિલ્હીમાંના તોફાનો અને હિંસા બાબતમાં ન્યાયાધીશ મુરલીધરને પોલીસનો ઉધડો લઇ લેવા સાથે ભાજપાના નેતાઓના ભડકાઉ ભાષણોના વીડિયો જોયા બાદ તેમણે પોલીસને આદેશ આપ્યો હતો કે કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરેશ વર્મા વગેરે સામે એફઆઈઆર દાખલ કરો…. અને આ બાબતથી દિલ્હીવાસીઓ અને દેશભરના લોકોમાં ન્યાયાલયો માટેનો વિશ્વાસ અતુટ બની ગયો હતો. તો મોટાભાગના લોકો ખુશ થયા હતા. પરંતુ ભાજપામાં અને કેન્દ્ર સરકારમાં ભારે અજંપો ફરી વળ્યો હતો…..! ત્યારે વડાપ્રધાન મોદીજીએ અજીત દેઓલને બોલાવીને હિંસા પર કાબૂ મેળવવા સત્તા સોંપી હતી.

અમિત શાહ મૌન બની ગયા હતા. કાલે પ્રથમ દિલ્હી પોલીસ કમિશનરના સ્થાને શ્રીવાસ્તવની સ્પેશ્યલ કમિશનર તરીકે નિમણુક કરાવી દીધી. તેમ જ પાંચેક જેટલા પોલીસ અધિકારીઓની બદલી પણ કરી નાખી. તો કેટલાક અધિકારીઓને ખખડાવી નાખવા સાથે એક્શન પ્લાન અમલમાં મૂકી દીધો…. તો દેખો ત્યાં ઠાર કરવાના હુકમ પણ કરાવી દીધા…. અને બુધવારે ડાવોલ પોતે તોફાનગ્રસ્ત વિસ્તારમાં મુસ્લિમ સમુદાય વચ્ચે પહોંચી જઈ વાતચીત શરૂ કરી અને તેનો સંદેશો સમગ્ર તોફાનગ્રસ્ત વિસ્તારમાં ફરી વળતા તોફાનો શાંત થઇ ગયા હતા. તો બીજી તરફ મોદીજી માટે ચિંતા થાય તેવી ટ્વિટ ભાજપાના નેતા બી એલ સંતોષે મુકતા મોદીજી ભડકી ગયા હતા… અને સંતોષનો ઉધડો લઇ લીધો હતો.

પરંતુ દિલ્હીના તોફાનોના ઘેરા પ્રત્યાઘાત અમેરિકા સહિત વિશ્વભરમાં પડ્યા છે… તેમાં પણ અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાંના ટ્રમ્પના હરીફ તરીકે ચૂંટણી મેદાનમાં બર્ની સેન્ડર્સ ઉતરવાના છે. તેમને આ દિલ્હી તોફાનો અને સીએએના મુદ્દે રાજકારણ ખેલવાનું શરૂ કર્યું છે…. જે ટ્રમ્પ માટે મુશ્કેલી સર્જી શકે છે…..! તો બીજીતરફ સંયુક્ત રાષ્ટ્રની નજર પણ આ તોફાનો ઉપર મંડરાઈ છે… જે ખરેખર ભારત માટે કમનસીબી છે. ત્યારે મોદીજીએ શરમ છોડી ભાજપામાં જે નેતાઓએ ભડકાઉ ભાષણો આપ્યા છે તેમને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ. અને તેમના પર કાર્યવાહી થવા દેવી જોઈએ એવું દિલ્હીવાસીઓનું કહેવું છે….! તો જજ મુરલીધરની જે પ્રકારે અને જેવા સમયે બદલી કરી છે તેનાથી આમ પ્રજામાં મોદી અને ભાજપ માટે ખોટો સંદેશો ગયો છે…. ત્યારે ભાજપ રાજનેતાઓ હવે કેવા પગલાં લે છે….? તેના પર લોકોની નજર છે….

>>  વંદે માતરમ્  <<

(જીએનએસ : હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!