‘આર્ષ’ શોધ સંસ્થાન, અક્ષરધામ દ્વારા “સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની પ્રેરક જીવનગાથા” વિષય પર પ્રવચન
ઈશુ ખ્રિસ્તના બાર એપોસ્ટલ્સ હતા, મહાવીર પ્રભુના અગિયાર ગણધર હતા, બુદ્ધ ભગવાનના પાંચ આદ્ય ભિક્ષુઓ હતા, શંકરાચાર્યના ચાર પટ્ટ શિષ્ય હતા, વલ્લભાચાર્યના અષ્ટસખા હતા. એ સહુ તે તે ધર્મમાર્ગમાંના સ્તંભો હતા. એમના સહયોગથી ધર્મના મહેલ રચાયા ને ઊભા છે.
સ્વામિનારાયણ ધર્મમાર્ગના સ્તંભો કેવાક હતા? ગુણાતીતાનંદ, મુક્તાનંદ, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, ગોપાળાનંદ, નિષ્કુળાનંદ, ભૂમાનંદ, દેવાનંદ, નિત્યાનંદ વગેરે સૂર્ય ફરતી જેમ સૂરજમાળ અને ચંદ્ર ફરતી નક્ષત્રમાળ છે એવી ભગવાન સ્વામિનારાયણના ફરતી બ્રહ્મચર્ય ને વૈરાગ્યની સાત્વિક મૂર્તિઓ સમી પાંચસો પરમહંસોની સંતમાળ હતી. તેમાં અગ્રિમ સ્થાન શોભાવે એવા કૃપાપાત્ર સદ્ ગુરુ પૂ. મુક્તાનંદ સ્વામી હતા. ભગવાન સ્વામિનારાયણે સ્વયં વચનામૃત મધ્ય.૬૨માં કહ્યું છે કે, એવા દાસત્વભક્તિવાળા તો આ જે ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી છે.
સત્સંગની મા’ ના વહાલસોયા બિરુદથી ઓળખાતા મુક્તાનંદ સ્વામી. જેમને જીવંતપર્યંત પોતાના ઇષ્ટદેવ એવા પ્રત્યક્ષ શ્રીહરિ ભગવાન સ્વામિનારાયણના સંબંધની વાણી તથા ૨૧ થી વધુ ગ્રંથો-શાસ્ત્રોની રચના કરી. ભગવાન સ્વામિનારાયણથી ઉમંરમાં ૨૩ વર્ષ મોટા એવા મુક્તાનંદ સ્વામીની મર્યાદા ખુદ ભગવાન સ્વામિનારાયણ પણ જાળવતા.
કવિ અને તેમાંય સંગીતકાર ઉપરાંત નૃત્યકલામાં પણ અત્યંત નિષ્ણાત. શાસ્ત્ર તથા નાડી પરીક્ષણ આદિ વૈદવિદ્યાના પણ અભ્યાસી. ગમે તેવા ક્રોધી માનવીનો ક્રોધ શાંત કરી દેવાની અદ્ ભૂત આવડતવાળા મુક્તાનંદ સ્વામી. તેમની જીવનગાથા દ્વારા સર્વોત્તમ ભક્ત કેવા હોય? , સર્વોત્તમ ગુરુ કેવા હોય? અને સર્વોત્તમ શિષ્ય કેવા હોય? તે સમજવા માટે આર્ષ પ્રવચનમાળાના આ વખતના મણકાનો સંગીતના સાજ સાથે લાભ લઈએ. આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળા પ્રવચન-૯૪ વ્યક્તિવિશેષ અંતર્ગત સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીની પ્રેરક- જીવનગાથા’ વિષય પર પ્રવચનનું આયોજન વર્તમાન કોરોના મહામારીને કારણે તા.૨૬-૧૨-૨૦૨૦, શનિવાર સાંજે ૦૫-૦૦ થી ૦૭-૦૦ કલાક દરમ્યાન ઓનલાઇન (આમંત્રણપત્ર તથા પ્રવચનની લિંક અહીંથી મેળવશો.
https://drive.google.com/file/d/1-HaVITKBNOLDfoy9mmEbogax8H9RHGkP/view?usp=sharing) રાખેલ છે. જેમાં સંગીતજ્ઞ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, નવસારીના પૂ. કૃષ્ણપ્રિયદાસ સ્વામી પોતાની લાક્ષણિક શૈલીમાં કીર્તન ભક્તિ સાથે આ વિષય પર પ્રવચન આપશે. સાથે સદ્ ગુરુવર્ય પૂજ્ય ઈશ્વરચરણદાસ સ્વામીના આશીર્વચનનો પણ લાભ મળશે.