હળવદમાં હડકાયા કુતરાનો આતંક : ૧પને બચકા ભર્યા
આજે સવારના શહેરમાં આવેલ ખારીવાડી વિસ્તાર, મહાદેવનગર તેમજ તેની આજુબાજુમાં આવેલ વાડી વિસ્તારમાં હડકાયા કુતરાએ રીતસરનો આતંક મચાવ્યો હતો. જેમાં ૧પ જેટલા લોકોને કુતરાએ બચકા ભર્યા હતા. જેઓને પ્રથમ સારવાર શહેરની સરકારી હોસ્પિટલમાં આપી વધુ સારવાર અર્થે મોરબી ખસેડાયા છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે વહેલી સવારના શહેરમાં આવેલ મહાદેવનગર, ખારીવાડી તેમજ તેની આજુબાજુમાં આવેલ વિસ્તારોમાં કુતરૂ હડકાયું થતા બાળક, મહિલા તેમજ પુરૂષ સહિત ૧પ જેટલા લોકોને બચકા ભર્યા હતા. જેથી આ વિસ્તારમાં હાલ ભારે દોડધામ મચી જવા પામી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલીક શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે મોરબી રીફર કરવામાં આવ્યા છે. એકી સાથે ૧પ જેટલા લોકો હડકાયા કુતરાનો શિકાર બનતા હોસ્પિટલ લોકોના ટોળા ઉમટી પડયા હતા. બનાવને પગલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી ડો.અનિલ પટેલ, વોર્ડ નં. ૧ના પાલીકા સદસ્ય મનસુખભાઈ મકવાણા સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
હડકાયા કુતરાનો શિકાર થયેલ લોકો
ધવલભાઈ કાંતિભાઈ, ઈશ્વરભાઈ, મનસુખભાઈ ત્રિભોવનભાઈ, દિલીપભાઈ કરશનભાઈ, ધર્મેશભાઈ અરવિંદભાઈ, અમરીબેન ચતુરભાઈ, દિલીપભાઈ ખીમજીભાઈ, સુભાષભાઈ પ્રતાપભાઈ, નવઘણભાઈ લાલજીભાઈ, કચનબેન વેરજીભાઈ, શારદાબેન મંજુભાઈ સહિતનાઓનો સમાવેશ થાય છે.