વાંકાનેરનાં ખીજડીયા ગામે વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતાં માર પડ્યો
વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા ખીજડીયા ગામ ખાતે વાડીમાં ઢોર ચરાવવાની ના પાડતા ઉશ્કેરાઈ જઈને બે શખ્સોએ વાડી માલિકને લાકડી વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાતા વાંકાનેર તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકા ખીજડિયા ગામે રહેતા ઇરફાનભાઈ હુશેનભાઈ માથકિયા ઉ.વ.27 નામના યુવાને ગામમાં જ રહેતા અરજણભાઈ રૂડાભાઈ ભરવાડ અને હમીરભાઈ નવઘણભાઈ ભરવાડ સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગઈકાલે ખીજડિયા ગામે આવેલ પોતાની વાડીએ હતા.ત્યારે આરોપીઓ તેમની વાડીમાં જુવારના પાકમાં પોતાના ઢોર ચરાવતા હતા.તેથી ફરિયાદી યુવાને તેમની વાડીમાં ઢોર ચરાવાની ના પાડી હતી.આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી યુવાનને ગાળો આપી લાકડીથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.