ગાંધીનગર જિલ્લાનો ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત અને સલામત વિસ્તાર…
- જયારે માત્ર ૧૪ ટકા ગ્રામ્ય વિસ્તાર જ કોરોનાના પોઝિટીવ છે …જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલ
- ગાંધીનગર જિલ્લાનો ૯૫ ટકા જેટલો વિસ્તાર નોન – કન્ટેન્ટમેન્ટ ઝોનમાં એટલે કે ગ્રીન ઝોનમાં…જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ
ગાંધીનગર,
ગાંધીનગર જિલ્લાનો ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત અને સલામત રહી શક્યો છે. તેમજ ૧૪ ટકા ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે, તેવું જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યુ; છે.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.આર.રાવલે જણાવ્યું છે કે, ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર રાજયમાં કોરોનાનો હાહાકાર છે. કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે લોક ડાઉનની કડક અમલવારીએ ઉમદા ભૂમિકા અદા કરી છે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામના સરપંચશ્રીઓ, અગ્રણીઓ અને યુવાનોમાં કોરોના સંક્રમણ અટકાવવા માટેની જાગૃત્તિ લાવવાની કામગીરી કરવમાં આવતાં તેમના દ્વારા સુચારું રીતે લોકડાઉનનું પાલન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોના સરપંચશ્રીઓ અને ગ્રામજનોની જાગૃત્તિના હિસાબે ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ગામે ગામ ફેલાતા અટકાવી શકાયું છે. ગાંધીનગર જિલ્લામાં આજની તારીખે કુલ- ૧૨૯ કોરોનાના પોઝિટીવ કેસ નોંધાયા છે. ગાંધીનગર જિલ્લાના માત્ર ૩૪ ગામોમાં જ કોરોનાના કેસ છે. જેની ટકાવારી પર નજરે નાખીએ તો ગાંધીનગર જિલ્લાના ૧૪ ટકા ગામોમાં કોરોનાના કેસો નોંધાયા છે. તેમજ ગાંધીનગર જિલ્લાના ૮૬ ટકા ગ્રામ્ય વિસ્તાર કોરોના મુક્ત અને સલામત રહ્યો છે. આ વાત ’ મારું ગામ કોરોના મુક્ત ગામ ’ રાખવાનો જશ ગ્રામજનોને જાય છે.
ગાંધીનગર જિલ્લામાં કુલ ગ્રામ્ય વિસ્તારમાં ૫૬ કન્ટેન્ટમેન્ટ ઝોન છે. જેમાં ૭૪,૮૭૬ વ્યક્તિઓનો સમાવેશ આ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં થાય છે. ગાંધીનગર જિલ્લાની અંદાજીત ૧૩ લાખની વસ્તી સામે માત્ર ૫.૭૧ ટકા વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોનમાં છે. બાકીનો ૯૫ ટકા જેટલો વિસ્તાર નોન – કન્ટેન્ટમેન્ટ ઝોનમાં એટલે કે ગ્રીન ઝોનમાં છે. આ કાર્ય ગામના સરપંચશ્રીઓ, કોરોના વોરિયર્સ, હેલ્થ વર્કર, પંચાયતના કર્મચારીઓ-અધિકારીઓ અને ગ્રામજનોના સહયોગ અને જાગૃત્તિથી શક્ય બન્યું છે.