માણસે પોતે પોતાના ઉપર અટલ વિશ્વાસ રાખવો કોઈ પણ કાર્ય અશક્ય નથી
શ્રીરામચરિત માનસના સુંદરકાંડમાં શાંતિ જાળવી રાખવા અને સફળતા મેળવવાના અનેક સૂત્ર જણાવવામાં આવ્યાં છે. આ કાંડમાં વાનરો સામે એક અસંભવ ચુનોતી હતી. માતા સીતાની શોધમાં વાનરોને સમુદ્ર પાર કરીને લંકા પહોંચવાનું હતું. જ્યારે સમુદ્ર પાર કરવાની વાત સામે આવી ત્યારે સૌથી પહેલાં જામવંતે અસમર્થતા જાહેર કરી. જામવંત બાદ અંગદે જણાવ્યું કે, હું લંકા તો જઇ શકું છું, પરંતુ સમુદ્ર પાર કરીને પાછો આવી શકીશ કે નહીં તેમાં શંકા છે. અંગદે પોતાની ક્ષમતા અને પ્રતિભા ઉપર જ શંકા જણાવી. અંગદને પોતાની શક્તિઓ ઉપર વિશ્વાસ હતો નહીં. જ્યારે વાનરોમાંથી કોઇપણ લંકા જવા માટે તૈયાર થયું નહીં ત્યારે જામવંતે હનુમાનજીને આ કામ માટે પ્રેરિત કર્યાં.
હનુમાનજીને તેમની શક્તિઓ યાદ આવી ગઇ અને તેમણે પોતાના શરીરને પહાડ જેવું બનાવી લીધું. આત્મવિશ્વાસથી હનુમાનજીએ જણાવ્યું કે, હું એક જ છલાંગમાં સમુદ્ર પારી કરીને, લંકા ઉજ્જડ બનાવી દઇશ અને રાવણ સહિત બધા જ રાક્ષસોને મારીને સીતા માતાને અહીં લઇ આવીશ. હનુમાનજીના આ આત્મવિશ્વાસને જોઇને જામવંતે કહ્યું કે, નહીં તમે આવું કંઇ જ કરશો નહીં. તમે માત્ર સીતા માતાની શોધ કરીને પાછા આવો. આ જ આપણું કામ છે. ત્યાર બાદ પ્રભુ રામ સ્વયં રાવણનો સંહાર કરશે. હનુમાનજી સમુદ્ર પાર કરવા માટે રવાના થયાં. સુરસા અને સિંહિકા નામની રાક્ષસીઓએ રસ્તો રોક્યો પરંતુ તેમના આત્મવિશ્વાસમાં ઘટાડો આવ્યો નહીં.
પ્રસંગની શીખ
જો વ્યક્તિ પોતાની શક્તિઓ ઉપર જ શંકા કરશે તો તેઓ ક્યારેય ઉલ્લેખનીય કામ કરી શકશે નહીં. કોઇપણ કામની શરૂઆતમાં મનમાં અનેક પ્રકારની વાતો ફરતી રહે છે. નેગેટિવ વાતોના કારણે સફળતા આપણાંથી દૂર થાય છે. એટલે ક્યારેય પોતાની શક્તિઓ ઉપર શંકા કરવી જોઇએ નહીં અને પોઝિટિવ વિચાર જાળવી રાખવાં.