ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા શરૂ કરવા રસ ધરાવતા ખેતી સાહસિકો, સંસ્થાઓ અરજી કરે
પાલનપુર
વર્ષ ૨૦૨૦-૨૧માં ભારત સરકારશ્રીના નેશનલ મિશન ઓન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર (એન. એમ.એસ.એ.) અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા ઉભી કરવા માગતા સ્થાનિક ખેતી સાહસિકો, એગ્રી ક્લીનીક અને એગ્રી બીઝનેશ સેન્ટર, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગૃપ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, ફાર્મર પ્રોડ્યુસ કંપની, ફાર્મર જોઇન્ટ લાયેબીલીટી ગૃપ, ફાર્મર કો-ઓપરેટીવ સોસાયટી, ઇનપુટ વિક્રેતાઓ તથા સ્કૂલ અને કોલેજ, વિગેરે પાસેથી નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે.
આ ખેતી સાહસિકોને ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળા માટે જરૂરી મશીનરી સાધનો, રસાયણો, ગ્લાસવેર ખરીદી, ઇલેક્ટ્રીસીટી અને પાણીની સુવિધા ઉપરાંત કોમ્યુટર, પ્રિન્ટર, સ્કેનર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બ્રોડબેન્ડ તથા પ્રયોગશાળાને લગતી અન્ય સામગ્રી તથા કન્ટીજન્સી ખર્ચ મળી કુલ પાંચ લાખ રૂપિયાના પ્રોજેક્ટ ખર્ચની મર્યાદા સામે એક જ વખતના ૭૫ % મુજબ કુલ રૂપિયા ૩.૭૫ લાખની મર્યાદામાં સબસીડી ચુકવવાની જોગવાઈ છે. આ અંગે સાંસદ આદર્શ ગામોને પ્રાધાન્ય આપવા સાથે ઓછામાં ઓછી વિજ્ઞાનના વિષયો સાથે બીજા વર્ગની મેટ્રીક પાસની લાયકાત ધરાવતા તથા કોમ્યુટરની જાણકારી ધરાવતા તથા પ્રયોગશાળા સ્થાપવા માટે પોતાનું અથવા ભાડાનું મકાન ધરાવતા ઉપરોક્ત સ્થાનિક વ્યક્તિઓ/સંસ્થાઓને નિયત નમૂનામાં જરૂરી આધાર-પુરાવા સહિતની અરજી તારીખ ૨૩-૦૭-૨૦૨૦ સુધીમાં નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જોરાવર પેલેસ, પાલનપુરની કચેરીએ મોકલી આપવા જણાવવામાં આવે છે. આ અંગે વધુ માહિતી માટે નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), પાલનપુર અથવા તાલુકાના ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી (ખેતી) કે ગ્રામ સેવકનો સંપર્ક કરવા વિનંતી છે. તેમ બનાસકાંઠા જિલ્લા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) પાલનપુર, અધિકારીશ્રી બી.એન.પટેલ અખબારી યાદીમાં જણાવ્યું છે.