કોરોના નિયંત્રણ માટે ત્રણ સોનેરી સૂત્રો
- હંમેશા માસ્ક પહેરો – સેનેટાઇઝરનો ઉપયોગ કરો અને દો ગજકી દૂરીનું પાલન કરો જરૂર જણાશે ત્યારે કાયદાની કડક અમલવારી કરવામાં આવશે – જિલ્લા ક્લેક્ટરશ્રી આર. બી. બારડ
લુણાવાડા,
મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડે જિલ્લાના પ્રજાજનોને નમ્ર અપીલ કરતાં જણાવ્યું છે કે, પ્રવર્તમાન કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આ મહામારીથી મહીસાગર જિલ્લો પણ બાકાત નથી. આ સમયગાળામાં આપણને લોકડાઉનમાંથી મુક્તિ મળી છે, નહીં કે, કોરોનામાંથી. એટલે આપણે સૌએ સૌ પ્રથમ તો આ ગેરસમજને આપણા મગજમાંથી દૂર કરવી પડશે. કોરોનાની આ મહામારીમાં કદાચ હાડમારીનો ભોગ બન્યા હોઇશું, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર ચોક્કસપણે કટિબધ્ધન, પ્રતિબધ્ધ અને સંકલ્પબધ્ધ છે. જિલ્લામાં કોરોના સંક્રમણને નિયંત્રિત કરવાના હર ઘડી સંભવ પ્રયાસો વહીવટી અને આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહયા છે. પરંતુ નાગરિકો અને પ્રજાતંત્રના સહકાર વિના લોકતંત્રમાં વહીવટીતંત્ર હંમેશા સફળ ના થઇ શકે જે પ્રજાના સહયોગ અને સહકારની પણ એટલી જ જરૂરિયાત છે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી બારડે જિલ્લાના નાગરિકોને કોરોના નિયંત્રણ માટે ત્રણ સોનેરી સૂત્રો આપ્યા છે જેનો નાગરિકો અંતઃકરણપૂર્વક અને અક્ષરશઃ અમલ કરશે તેવી પણ તેમણે આશા અને અપેક્ષા વ્યકત કરી છે.
જિલ્લા કલેકટરશ્રીએ જે ત્રણ સોનેરી સૂત્રો આપ્યાં છે તેમાં (૧) હંમેશા માસ્ક પહેરો (ર) સેનેટાઇઝરનો ઉપયોગ કરો / વારંવાર સાબુથી હાથ ધોવો અને (૩) દો ગજ કી દૂરીનું પાલન કરો.
કોઇપણ એક વ્યક્તિની ભૂલનો ભોગ પરિવાર, આડોશ-પાડોશ, ગામ કે જિલ્લાના પ્રજાજનો ના બને તે માટે વહીવટીતંત્ર અને આરોગ્યતંત્રના આદેશોનું પાલન કરી દરેક નાગરિક પોતાની જવાબદારી નિભાવે તે ખૂબ જ જરૂરી છે. અને જરૂર જણાશે ત્યારે કાયદાનું કડક પાલન કરાવવા વહીવટી– પોલીસ તંત્ર સંપૂર્ણ સજજ છે જેને પણ ધ્યાને લેવા અનુરોધ કર્યો છે.